कृष्णम्

       બોલી શકાય કે લખી શકાય ખરું!?!કૃષ્ણ ઉપર કે કૃષ્ણ માટે!!!નહિ ને!?!પરંતુ હિરદ ને થાય કે,કૃષ્ણ કહું...કૃષ્ણ સહું ય...કૃષ્ણ પ્રિછું...કૃષ્ણ ઈચ્છું!આ તમામ સંભવ ત્યારે બની શકે કૃષ્ણ જીવાય!કોણ જીવી શક્યું છે કૃષ્ણને આખોય!પાર્થ?ભીષ્મ?દેવકી?યશોદા?રાધા કે દ્રૌપદી?કે પછી કહો મીરાં?નખશીખ પારાવાર ધારદાર કોણે જીવ્યો આખરે કૃષ્ણને!?!શું કહેશું જીવવું એટલે?રોજ આવનજાવન શ્વાસો વચ્ચે સ્મરણ એના વાગોળવા?કે પછી મન ના ભર્યા મેળામાં રોજ એની ભાળ શોધવા જવી?કલ્પના કરવા બેસો તો અેટલો અઘરો છે કે મેરું ને સમજવા બેસીએ તો એ ય સમજાય જાય.પણ નિરખવા બેસો તો એટલો સહેલો છે જાણે "બે આંખો" માં ઘૂમ્યા કરે ને!!!જગતની એકપણ કલમ એવી નહિ હોય જેણે કૃષ્ણને શબદમોહમાં બાંધવાના પ્રયત્ન ન કર્યા હોય.આમ તો એ ક્યાં કોઈનો છે પણ ખરો!?!તોય હિરદ હિરદ કૃષ્ણ જ કૃષ્ણ!!!જીવવા મથો ને ચારેય જુગ વીતી જાય.જાણવા મથો તો જન્મારો ને પામવા મથો તો આરો જ નહિ.બસ,માની છૂટો તો એ હાથવગો જાણે!પણ,એમ કંઈ થોડું સહેલું છે એને માની બેસવો.ત્રિવંકો ખરો ને!?!અંગમરોડ ને નયનચેષ્ટાઓ જેટલી અકળ એથીય વિશેષ એનું હોવું માત્ર અઘરું!કૃષ્ણનું હોવું માત્ર ય હિરદમાં સમાય જાય તો કૃષ્ણપિંગાક્ષ ક્યાં છેટો!?!જ્ઞાનીઓ માટે તો એ બિલકુલ નથી.ન પંડિતો,શાસ્ત્રીઓ કે ધર્મગુરુઓ માટે!એ તો બસ હ્રદય હ્રદય ભરેલી બે આંખો માટે છે.કૂણાં કાળજામાં જીવનારો,સદાય આઠેય પ્રહર વિરહભીની આંખોને સેવનારો રાગરંગરંજિત એ તો હ્રદયમાં મહાલનારો!એમ જ શ્વાસોના રથ પર આરૂઢ નથી થઈ જતો.અર્જુન મટી જઈને વિતરાગી પાર્થ થઈ છૂટવું પડે છે.અંત સાર એક જ કે,"मामेकम् शरणम्"-થઈ ઘટિત થવું પડે છે.ને છતાંય પામી તો એને શકાતો જ નથી...ક્યારેય પણ નહિ...કલ્યાણમસ્તુ!...